:~: પૂજ્યશ્રીનો અનોખો અનેરો અજોડ આંતરવૈભવ :~:
:~:પરાર્થવ્યસની પૂજ્યશ્રી:~:
પાસે આવનાર નું કેમ કલ્યાણ થાય તે જ પૂજ્યશ્રી ભાવતા.છેલ્લા અઠવાડિયા પહેલાની વાત છે.
પૂજ્યશ્રીને માથાની સમસ્યા થતા ડૉ. શૈલેશભાઈ સર્જનને બોલાવ્યા.
સ્વાભાવિક વાતચીત નીકળી.તેમાં પ્રથમ ૧ મહિનાનો રાત્રિભોજનનો નિયમ આપ્યો હતો;
જે પૂર્ણ થયો. પૂજ્યશ્રીએ ફરી યાદ કર્યું કે આગળ વધવાનું
ત્યારે ડૉકટરે કહ્યું કે એક બે વાર અગવડતા પડી કારણ કે ઓપરેશન -
પાંચ-છ કલાકનું ચાલે ત્યારે મુશ્કેલી થાય છે.
તો પૂજ્યશ્રી એ કહ્યું : કસોટી તો થાય.
મને જુઓ રેડીએસનના શેક લીધા પછી રાત્રે કેટલો શોષ પડે છે છતાં પાણી પીવાય ખરું?
પીવું તો તમે શું કહો? રાત આખી તરફડીયા મારી પસાર કરવી પડે છે.
તમને તો એવું નથી ને?
તરત ડૉકટરે સ્વીકાર કર્યો. એક મહિનાનો નિયમ આગળ વધાર્યો.
પૂજ્યશ્રી આચારના હાલતા ચાલતા ગ્રંથ હતા. સ્વયં જીવન જીવીને અદભુત પ્રેરણા સ્ત્રોત
પૂરો પાડી ગયા છે. સ્વયં ક્યારેય વ્યાધીથી આકુળ વ્યાકુળ થયા નથી. શાંત ચિતે સમાધિપૂર્વક
પસાર થયા છે. "જ્ઞાન પ્રકાશે રે મોહ તિમિર હરે."
આવનાર ને ખબર ન પડે કે પૂજ્યશ્રી કેન્સરની વ્યાધીથી પીડાતા હશે? પૂજ્યશ્રી તો
"સંવેગ રંગ તરંગ ઝીલે" માં રમતા હોય.
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:
:~: વચનયોગ પર અદભુત પ્રભુત્વ વાળા પૂજ્યશ્રી :~:
સાંભળનારને પણ જિનેશ્વર ભગવાનના શાસન પર બહુમાન ભાવ થાય.
એક વખત પૂજ્યશ્રીને કંઈક શારીરિક તકલીફ થઇ.
મારાથી સહસા બોલી ગયું કે ફોન કરીને ડૉકટરને બોલાવી લઈએ.
પૂજ્યશ્રી આ સાંભળી ગયા. તરત ધીમા સ્વરે મને બોલાવી કહ્યું;
"તું શું બોલ્યો ? મને તરત ભૂલ સમજાઈ ગઈ.
મને કહે કે જો કોઈ અજાણ્યો શ્રાવક હોય તો શું વિચારે કે મ.સા. ફોન રાખતા હશે?
અથવા વાપરતા હશે? બોલવામાં ઉપયોગ રાખો.
આપણો વાગવ્યવહાર જિનશાસનની અવહેલના કરાવનારો ન જ હોવો જોઈએ.
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:
:~: શાસન પ્રભાવકતા :~:
જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં વિશિષ્ટ શાસન પ્રભાવકતા થવા પામતી.
પૂજ્યશ્રીની નીશ્રામાં અંજન-શલાકા,પ્રતિષ્ઠા,છ`રિ પાલીત સંઘો
અનેક આત્માઓની પ્રવજ્યાદિ થયા અનેક શાસન પ્રભાવનાના પ્રસંગો યોજાયેલ.
પૂજ્યશ્રી બાહ્ય આડંબરોથી પર હતા. પ્રસિદ્ધિમાં માનતા ન હતા.
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:
:~: પ્રભુ ભક્તિ :~:
જ્ઞાન ગુણ દર્શનને મજબુત બનાવે છે.
પ્રભુ ભક્તિમાં તેઓશ્રી ઓતપ્રોત બની જતા. બને ત્યાં સુધી
ચાલીને જ જિનમંદિરે જવાનો આગ્રહ રાખતા.
દેરાસરમાં પ્રભુજીની સામે ખુરશી પર ન બેસવાનો આગ્રહ રાખતા.
કહેતા કે પ્રભુજીની આશાતના થાય છે. ઔચિત્ય જળવાતું નથી.
વિ.સં. ૨૦૩૦-૩૧માં શ્રી સમેતશિખરજી જાત્રા કરવા ગયા ત્યારે
ક્ષત્રીયકુંડમાં પ્રભુવીરના ચરણોમાં પડી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
હે પ્રભુ! તારી કૃપાથી જ હું અહીં સુધી પહોંચ્યો છું.
હવે તારે મને તારા સમાન બનાવવાનો છે.
આવા ઉદગાર પૂજ્યશ્રીના મુખમાંથી સરી પડ્યા હતા.
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:
:~: શાસન સમારાધકતા :~:
શાસન હિત પૂજ્યશ્રીના હૈયે એવું વસેલું હતું કે
શાસન પર કોઈ આપત્તિ આવે તો ખુબ જ ચિંતિત બની જતા.
શાસનમાં વ્યાપેલ તિથી પ્રશ્ન પૂજ્યશ્રીને ખુબ મૂંઝવતો.
તેનું નિરાકરણ કરવા શાસનની એકતા સ્થાપવા સંવત ૨૦૪૪માં
પૂજ્યશ્રીની અધ્યક્ષતામાં સંમેલન મળ્યું. તેમાં શાસનની ૯૦ ટકા એકતા સ્થપાઈ.
જેના ફળ સ્વરૂપ સૌ એક બીજાની નજીક આવ્યા. સબંધો મીઠા બન્યા છે.
વ્યવહાર-વંદન-ગોચરી આદિના સબંધો નવેસરથી શરૂ થયા.
વિ.સં. ૨૦૫૬માં માગસર વદમાં લઘુ સંમેલન મળ્યું.
ત્યાર પછી ૨૦૫૭ના ચાતુર્માસમાં સેટેલાઈટ મુકામે
પાંચેકવાર અમદાવાદમાં બિરાજમાન પૂજ્યોના મિલનો યોજાયેલ.
તેમાં શાસનના વિકટ પ્રશ્નોની ચર્ચા અને નિરાકરણ થયેલ.
:~: ઉચ્ચ સંયમના સાધક :~:
પૂજ્યશ્રીની અડગ સંયમ પાલકતાના બે મુખે વખાણ કરતા.
તેમની પરંપરાની જાળવણી શાસ્ત્ર સાપેક્ષતા આદિને કારણે
આજના વિષમ કાળના જમાનામાં પણ
ઉચ્ચ સંયમ સાધકોની પંક્તિમાં પૂજ્યશ્રીનું નામ મોખરે ગણાતું હતું.
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:
:~: બહિર્ભાવથી અલિપ્તતા :~:
પૂજ્યશ્રીના આચાર્ય પદની ૫૦ વર્ષની ઉજવણી વખતે પૂજ્યશ્રીના જીવન ઉપર
નેટવર્ક કોલમમાં લેખ આપવા માટે આગ્રહ કર્યો તો પૂજ્યશ્રી એ તરત ચોક્ખી ના
પાડી. મારામાં કોઈ એવી મહતા નથી અને મારે પ્રસિદ્ધિ જોઈતી નથી.
પૂજ્યશ્રી પત્રિકા આદિ છપાવવામાં પણ ઉદાસીન હતા
તેમાં ફોટા વગેરેના પ્રચારના વિરોધી હતા.
>લોક સંપર્કથી દુર રહેવાનું વધુ પસંદ કરતા હતા.
>લોકસંપર્ક જેટલો ઓછો તેટલી આરાધના સુંદર,
શ્રાવકો સાથેના વધુ પડતા સંપર્કથી આપણો વૈરાગ્ય મંદ પડે છે.
વિષયોની વિરક્તતા વિના વૈરાગ્યની પ્રબળતા શક્ય નથી,
શ્રાવકો વિષયોથી આસક્ત હોય છે; તેથી તેમનાથી દુર રહેવું
વધુ ઉચિત છે. જો કોઈ વ્યક્તિ પૂજ્યશ્રી પાસે આવી ગપ્પા મારવા બેસી જાય
અથવા સંસારની કે ધંધાની વાતો કરે તો તરત ધર્મલાભ કહી ઉઠાડી મુકતા.
જ્યોતિષના પ્રખર જ્ઞાતા હતા. પૂજ્યશ્રીના મુર્હુતમાં કઈ જોવા પણું ન રહે.
છતાં સાંસારિક કામ માટે ક્યારેય જ્યોતિષનો ઉપયોગ કરી ભક્તવર્ગ
વધારવા લોકોને આકર્ષવા પ્રયત્ન કર્યો નથી.
ગામડાના ચાતુર્માસની જય બોલાવતા પૂર્વે શરત કરતા
મને ગમે તે થાય;બેશુદ્ધ બનું ત્યારે પણ સારવાર અર્થે
એમ્બ્યુલન્સમાં લઇ જઈ મારા ચારિત્રને કલંકિત કરશો નહિ;
તો જ ચાતુર્માસ કરીએ. (કુવાળા-દિયોદર વગેરે ગામ માટે)
મર્યાદા પાલન માટે જરા પણ કોઈની શેહશરમ ન રાખે.
એકલા બહેન હોય તો ઉપાશ્રયમાં બેસવા ન દે.
માથે ઓઢીને જ બેસવાનો આગ્રહ.
સાધુ મહારાજના કોઈ સગા આદિ હોય તે પણ એકદમ
નજીક બેસી જાય તો તુરત ના કહી દેતા.
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:
:~: નિખાલસ હ્રદય :~:
પૂજ્યશ્રીનું હ્રદય અત્યંત નિખાલસ હતું. ક્યાંય કુડકપટ નહીં.
માયા નહીં, કોઈપણ સમુદાયના નાના મોટા સર્વ ગુરૂ ભગવંત
સાથે અત્યંત સહૃદયતા પૂર્વક વ્યવહાર કરતા. તેથી જ
પૂજ્યશ્રીના ચરણે સૌ કોઈ ખેંચાઈને આવતા.
પૂજ્યશ્રીના આશીર્વાદ-સાનિધ્યને પામવા માટે ઝંખતા.
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:
:~: ગાંભીર્ય :~:
તપાગચ્છના મૂર્ધન્યપદે હતા,
છતાં પદનો જરા પણ ગર્વ ન હતો.
શાસનના પ્રશ્નોનો અત્યંત કુનેહતા પૂર્વક ઉકેલ લાવવા તત્પર રહેતા.
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:
:~: ગુણાનુરાગ :~:
ભલે તે નાનો હોય તો પણ બે હાથ જોડી પગે લાગે.
પૂ. સાધ્વીજી ભગવંતને પણ બે હાથ જોડી મત્થએણ વંદામી કહે...
કોઈ વાતવાતમાં "સાધ્વી" એટલો ઉચ્ચાર કરે તો તેઓશ્રી કહે,
"સાધ્વીજી ભગવંત" કહો; પૂજ્ય છે... તોછડો ઉચ્ચાર ન કરાય...
શ્રાવક શ્રાવિકા માટે કે મહાત્માઓ માટે કોઈ "એ લોકો"
એમ ઉચ્ચાર કરે તો કહે "લોકો" ન બોલો, શ્રાવક-
શ્રાવિકા કે મહાત્મા કહો. ગુણી આત્માઓ છે.
તપસ્વી આત્માઓને જોઈ તેઓશ્રીનું મસ્તક ઝુકી જતું.
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:
:~: છેદગ્રન્થ નૈપુણ્ય :~:
ઉપસર્ગ અપવાદના જાણકાર હતા. સમાચારી સિદ્ધાંત આદિને
લગતી જટીલ સમસ્યા ઉભી થતા અનેક મહાત્માઓ પૂજ્યશ્રીના
અભિપ્રાય મંગાવતા અને પૂજ્યશ્રી જે ઉકેલ આપે તે
લગભગ સર્વેને માન્ય રહેતો.
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:
:~: જાપ પરાયણતા :~:
તેમાં જરા પણ ભૂલ ન થાય.
સવારે નિત્ય જાપ કર્યા પૂર્વે નવકારશી પણ ન કરતા.
પછી ગમે તેવી માંદગી હોય કે વિહાર હોય. ૯-૧૦ વાગી જાય.
ક્યારેક સામૈયું વ્યાખ્યાન આદિને કારણે
૧૧ વાગી જાય છતાં જાપ પૂર્ણ ન થયો હોય તો નવકારશી ન કરે.
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:
No comments:
Post a Comment